ગાંધીનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
- નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તો વ્યવસ્થા કરવી
ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જિલ્લાના તમામ તલાટી કમ મંત્રીઓએ હેડ ક્વાર્ટર નહી છોડવાનો નાયબ ડીડીઓએ આદેશ કર્યો છે. નદી કિનારાના ગામો કે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય તો સ્થળાંતર કરવા સહિતનું આયોજન કરવાનું રહેશે. હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
ત્યારે જિલ્લાના ગામોમાં ભારે વરસાદથી ઉભી થતી મુશ્કેલીઓને દુર કરવા માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. તેમાં જિલ્લાના 284 ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓને હેડ ક્વાર્ટર નહી છોડવાનો નાયબ જિલ્લા વિકાસ અધિકારી જાન્હવી પટેલે જિલ્લાના ચારેય તાલુકા વિકાસ અધિકારીઓને આદેશ કર્યો છે. ઉપરાંત નદી કિનારાના ગામો તેમજ ગામમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા ઉભી થાય છે.
ત્યારે આવા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે કે ઉંચાણવાળી જગ્યાએ ખસેડવા માટે આગોતરૂ આયોજન કરવાનું રહેશે. જેમાં ગામના જાહેર સ્થળો કે પ્રાથમિક શાળામાં જરૂર જણાય તો સ્થળાંતરની વ્યવસ્થા કરવાની રહેશે. ઉપરાંત રાત્રી દરમિયાન શાળા ખોલી શકાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે. ઉપરાંત ગામમાં રેઇન ગોગા મશીન કાર્યરત છે કે નહી તેની તપાસ કરીને તેનો રિપોર્ટ મોકલવાનો રહેશે. વધુમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને તલાટી કમ મંત્રીએ પૂર્વમંજુરી વિના હેડક્વાર્ટર નહી છોડવાનો આદેશમાં ઉલ્લેખ કર્યો છે.
ઉપરાંત જિલ્લાના ચારેય તાલુકા વિકાસ અધિકારીઓને પણ કોઇપણ તલાટીઓની લાંબાગાળાની રજાઓ મંજુર નહી કરવાનો પણ આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તાલુકાના ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓને જાણ કરવાનો તાલુકા વિકાસ અધિકારીઓને નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ સુચના આપી છે. આદેશનું ઉલ્લઘન કરનારા સામે પગલાં લેવાની ચીમકી પણ અપાઇ છે. કોઇપણ પરિસ્થિતિને પહોચી વળવા આદેશ કરાયા છે.