બાબરાએક કલાક પહેલા
- કૉપી લિંક
- બીમાર પશુના મોત: સ્થાનિક ધારાસભ્યની પશુપાલન મંત્રીને રજુઆત
બાબરા તાલુકાના ઇશ્વરીયા તથા આસપાસના ગામોમા લમ્પી વાયરસે દેખાદેતા પશુઓ ટપોટપ મરી રહ્યાં હોય સ્થાનિક ધારાસભ્યએ પશુપાલન મંત્રીને રજુઆત કરી આ ગામોમા પશુ ચિકિત્સકો નિયમીત મુલાકાત લે તેવી માંગ કરી હતી. સ્થાનિક ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું હતુ કે ઇશ્વરીયામા પશુપાલન કરી ગુજરાન ચલાવતા પરિવારો મુશ્કેલીમા મુકાયા છે. કારણ કે લમ્પી વાયરસથી પશુઓ મોતને ભેટી રહ્યાં છે.
આ વાયરસ વધુને વધુ ગામોમા પ્રસરે તે પહેલા તેને કાબુમા લેવા રાજય સરકાર દ્વારા તાકિદે યોગ્ય પગલા ભરવામા આવે તેવી માંગ રાજયના પશુપાલન મંત્રી રાઘવજીભાઇ પટેલ પાસે કરાઇ છે. આજે પશુ અધિકારી તથા મદદનીશ પશુપાલન નિયામકે ગામના સરપંચને સાથે રાખી બિમાર પશુઓનુ નિદાન કરી પંચરોજ કામ કર્યુ હતુ.
અહી પશુઓના શરીરમા ચાંદા પડી રહ્યાં છે અને ખાવાપીવાનુ છોડી દે છે. તેના લોહીના નમુનાઓ લઇ લેબોરેટરીમા મોકલાયા છે. પશુ અધિકારીએ માલધારીઓને આ રોગથી બચવા સમજણ પણ આપી હતી. માખી અને મચ્છરના ઉપદ્વવથી આ રોગ ફેલાતો હોય તેનો ઉપદ્વવ ન વધે તેની કાળજી લેવા પણ સુચના અપાઇ હતી.
બિમાર પશુઓને અલગ રાખવા સુચન
પશુપાલન અધિકારીએ આ વાયરસનો ફેલાવો અટકાવવા માલધારીઓને બિમાર પશુઓને અન્ય પશુથી અલગ રાખવા તથા તેમના પીવાના પાણીની અને નિરણની પણ અલગ વ્યવસ્થા કરવા સુચન કર્યુ હતુ.