આણંદ3 કલાક પહેલા
- કૉપી લિંક

- ભત્રીજાએ મકાન ખાલી કરવા નોટિસ મોકલતા કાકાનો પિત્તો ગયો, ચાર સામે ગુનો નોંધાયો
આણંદના અડાસ ગામે મકાનના લાગભાગ બાબતે કાકા અને ભત્રીજા વચ્ચે લોહીયાળ મારામારી થઇ હતી. જેમાં કાકાના પરિવારે ધારીયાથી હુમલો કર્યો હતો. જેમાં ભત્રીજાના પરિવારજનો ઘવાયાં હતાં. આ અંગે વાસદ પોલીસે ગુનો નોંધ્યો હતો.
અપશબ્દ બોલી ઝઘડો કર્યો
અડાસ ગામના લુણેશ્વર મહાદેવ અતુલ પંડ્યાની ખળી પાછળ રહેતા રાજેશ ભાઈલાલ પરમારને તેના કાકા ખુમાનસિંહ સોમાભાઈ પરમાર સાથે મકાનના લાગભાગ બાબતે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. જેથી થોડા દિવસ પહેલા રાજેશે મકાન બાબતે નોટિસ મોકલી હતી. આ નોટિસથી ખુમાનસિંહ ઉશ્કેરાઇ ગયાં હતાં અને ખુમાનસિંહ, મનુ સોમા પરમાર, જયેશ મનુ પરમાર, મુકેશ મનુ પરમાર સહિતના પરિવારજનો 14મીની સાંજે રાજેશ પાસે પહોંચ્યાં હતાં અને અપશબ્દ બોલી ઝઘડો કર્યો હતો.
માથામાં ધારીયું મારી દીધું
આ ઝઘડામાં જયેશ પરમારે માથામાં ધારીયું મારી દીધું હતું. જ્યારે મુકેશે પણ રાજેશના પરિવારના ભરતભાઈને ધારીયું મારી દીધું હતું. આ ઝઘડામાં વચ્ચે પડેલા દક્ષાબહેનને પણ ધારીયાથી મારતા ગંભીર ઇજા પહોંચી હતી.
પોલીસે તપાસ હાથ ધરી
આ હુમલાના પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને મામલાને શાંત પાડ્યો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. આ અંગે રાજેશની ફરિયાદ આધારે ખુમાનસિંહ સોમા પરમાર, મનુ સોમા પરમાર, જયેશ મનુ પરમાર, મુકેશ મનુ પરમાર (રહે.અડાસ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.