અમદાવાદ25 મિનિટ પહેલા
- કૉપી લિંક

આજથી વરસાદનું જોર ઘટશે
- જળાશયોમાં નવા નીર આવતાં ગુજરાતમાં પીવાના પાણીની ઘાત ટળી
ગુજરાતમાં અત્યારસુધી સિઝનનો 56 ટકાથી વધુ વરસાદ ખાબકી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક બાદ રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે. જ્યારે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. તે ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ પણ મૂકવામાં આવ્યું છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 56 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ સહિત રાજ્યના અન્ય 39 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
અરબી સમુદ્ર પર બે લૉ પ્રેશર સર્જાયા
હાલ અરબી સમુદ્ર પર બે લૉ પ્રેશર સર્જાયા છે. તેની અસરને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની વકી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ પત્રકારોને જણાવ્યું હતું કે, આગામી 24 કલાક બાદ વરસાદનું જોર ઘટી શકે છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. જેને કારણે આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે. સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વલસાડ, ડાંગ, દમણ, નવસારી, સુરત, તાપી, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં વરસાદની ભારે આગાહી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

રસ્તા પર પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો
ડાંગ અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ
રાજ્યમાં હવે ડાંગ અને વલસાડ એમ બે જિલ્લામાં રેડ એલર્ટ છે. રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમાં 19 એનડીઆરએફની ટીમ તહેનાત કરાઇ છે જ્યારે 1 ટીમ રિઝર્વ રખાઇ છે. તેમજ ૨૭ એસડીઆરએફની પ્લાટુન ડિપ્લોય કરવામાં આવી છે, જ્યારે એસડીઆરએફની 1 પ્લાટુન અને એક ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. આ ઉપરાંત અગમચેતીના ભાગરૂપે ઓડિશાથી એનડીઆરએફ અને એસડીઆરએફની વધુ પાંચ ટીમો મંગાવવામાં આવી છે. તેમજ અમદાવાદ, વડોદરા, દમણ, નાસિક, અને મુંબઈ એમ પાંચ જગ્યાએ એરલિફ્ટિંગ માટે હેલિકોપ્ટર-ચોપર પણ સ્ટેન્ડ બાય રખાયા છે.

શુક્રવારે સાંજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો
છેલ્લા 24 કલાકમા 204 તાલુકાઓમાં મેઘમહેર
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેમાં ધરમપુરમાં 5.5 ઈંચ, કપરાડામાં 5 ઈંચ, ખેરગામમાં 3.5 ઈંચ, ચિખલી, તલાલા, વાપી અને વઘઈમાં 3 ઈંચ, તે ઉપરાંત પારડી, સતલાસણા, ઉમરગામ, ગણદેવી અને થાનગઢમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. એ સિવાય મોડાસા, લખપત, વેરાવળ, માતર, છોટા ઉદેપુર, સાયલા, ભૂજ, વ્યારા, ડાંગ, દસક્રોઈ, ડોલવણ અને માળીયામાં દોઢથી બે ઈંચ વરસાદ થયો છે. રાજ્યમાં ગાંધીનગર અને દાહોદમાં વરસાદનું પ્રમાણ ઓછું નોંધાયું છે.

અમદાવાદમાં સામાન્ય વરસાદમાં રસ્તા પર જળબંબાકારની સ્થિતિ
ગુજરાતમાં સરેરાશ પાણીનો જથ્થો 54.18%
રાજ્યમાં 90 ટકાથી વધુ જળસંગ્રહ ધરાવતા 42 ડેમ હાઈએલર્ટ પર છે. 80 ટકાથી વધુ ભરાયેલા 13 ડેમ એલર્ટ પર છે. જ્યારે 70 ટકાથી વધુ ભરાયેલા 12 ડેમ વોર્નિંગ પર છે. 139 ડેમમાં 70 ટકાથી ઓછો જળસંગ્રહ છે. ઉત્તર ગુજરાતમાં 16.41%, મધ્ય ગુજરાતમાં 38.36%, દક્ષિણ ગુજરાતમાં 66.71%, કચ્છમાં 68.27%, સૌરાષ્ટ્રમાં 52.98%, નર્મદામાં 50.63% પાણીનો જથ્થો છે. જેથી સમગ્ર ગુજરાતમાં સરેરાશ પાણીનો જથ્થો 54.18% છે.